હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે
રાગ : ગરબી
પદ—૧
હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે,
શ્વાસઉચ્છવાસે તે નિત્ય સંભારું રે. ૧
પડ્યું મારે સહજાનંદજીશું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. ૨
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ વર ન મળે ખરચે નાણું રે. ૩
એ વર ભાગ્ય વિના નવ આવે રે,
એ સ્નેહ લગ્ન વિના નવ ભાવે રે. ૪
દુરીજન મન રે માને તેમ કહેજ્યો રે,
સ્વામી મારા હૃદયની ભીતર રહેજ્યો રે. ૫
હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી રે. ૬
પદ—૨
હવે મારા વહાલાનાં દર્શન સારુ,
હરિજન આવે હજારે હજારું. ૧
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ પુરુષોત્તમ અંતરજામી. ૨
સભા મધ્યે બેઠા મુનિના વૃંદ,
તેમાં શોભે તારે વિંટ્યો જેમ ચંદ્ર. ૩
દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી. ૪
તાળી પાડે ઊપડતી અતિ સારી,
ધુન્ય થાય ચૌદ લોક થકી ન્યારી. ૫
પાઘડલીમાં છોગલિયું અતિ શોભે,
જોઈ જોઈ હરિજનનાં મન લોભે. ૬
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ,
સહજાનંદ અક્ષરધામના વાસી. ૭
ભાંગી મારી જન્મોજન્મની ખામી,
મળ્યા મુને નિષ્કુળાનંદના સ્વામી. ૮