૨૫. ચંદન ચરચિત નીલ કલેવર સુંદર...

0:000:00

જૂનાગઢના નવાબ બહાદુરખાને જ્યારથી પ્રેમાનંદ સ્વામીનું 'રૂહાની' સંગીત સાંભળ્યું ત્યારથી અન્ય ગવૈયાઓનું સંગીત એમને સાવ ફિક્કું લાગતું. એકવાર ગ્વાલિયરના ખ્યાતનામ ગાયકો પર્યટન કરતા કરતા ઇનામની આશાએ જૂનાગઢના નવાબ પાસે આવ્યા. પહેલાંના રાજા-નવાબો કલાની કાયમ કદર કરતા. તેથી કલાકારો ને સરસ્વતી ઉપાસકો રાજા-મહારાજાઓના આશ્રયે જ પોષાતા. જૂનાગઢમાં નવાબ સાહેબ પાસે જઈ ગાયકોએ પોતાનું સંગીત પીરસવાની આજ્ઞા માગી ત્યારે ગુણાનુરાગી સંગીતજ્ઞ નવાબે એ ગાયકોને કહ્યું:

"આપ સબકો મેરી એક ગુજારિશ હૈ, આપ પહેલે સ્વામિનારાયણકે ફકીર પ્રેમાનંદજીકા સંગીત સુનિયે. વહ સંગીત રૂહાની સંગીત હૈ. વહ સુનને કે બાદ અગર આપકો લગે કિ આપ ઉસસે ભી બહેતર સંગીત સુના સકતે હૈ તો બેશક યહાં ચલે આના, મૈં જરૂર આપકા સંગીત સુનૂંગા."

આ સાંભળીને એ ઉસ્તાદો અચંબો પામી ગયા. એમને થયું- આ રૂહાની (આત્માનું) સંગીત તે વળી કેવું હશે?

નવાબના ફરમાનથી એ રાજગાયકોની મંડળી જૂનાગઢ રાજ્યના ખર્ચે ગઢપુર આવી પહોંચી.

શ્રીજીમહારાજ સમી સંધ્યા ટાણે દાદા ખાચરના દરબારમાં નિંબ વૃક્ષ નીચે સભા કરીને બિરાજમાન હતા અને કથા-વાર્તા ચાલી રહ્યાં હતાં. એ વખતે કોઈ ભક્તે આવીને વાવડ આપ્યા 'મહારાજ! ગ્વાલિયરના પ્રખ્યાત સંગીતકારો અહીં આપના દર્શનાર્થે આવી રહ્યા છે.'

આ સાંભળી મહારાજ સભામાં પ્રેમાનંદ સ્વામી સામે જોઈ મર્મમાં હસ્યા, પછી બોલ્યા: 'ભલે! એમને આવવા દો.'

થોડી જ વારમાં સંગીતકારોની એક ટુકડી સાજ-સાજિંદા સાથે ત્યાં આવી પહોંચી. આવતાં જ એ બધાએ લાંબી લાંબી કુર્નિશો બજાવી શ્રીજીમહારાજની વંદના કરી. પછી પોતાની ઓળખાણ આપી એમાંના એક વૃદ્ધ સંગીતકારે કહ્યું: 'અમોને જૂનાગઢના નવાબ સાહેબે આપના ફકીરનું સંગીત સાંભળવા મોકલ્યા છે.' શ્રીહરિએ એ રાજ ગાયકોનું યથોચિત સન્માન કરી પોતાની સન્મુખ બેસાડ્યા. ગાયકોએ શ્રીજીમહારાજને પોતાનું સંગીત સંભળાવવાની આજ્ઞા માગી ત્યારે મહારાજે કહ્યું: 'આપ સહુ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ છો તેથી અમારા પરિચારકો આપને પહેલાં સંગીત સંભળાવશે.' આમ કહીને મહારાજે સંગીતની પ્રણાલીનો વ્યવહાર પણ સાચવી લીધો.

એ પ્રસંગે સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે ગવૈયા સંતો હાજર હતા. મહારાજે પ્રેમાનંદ સ્વામી તરફ જોઈ ગાવા માટે નિર્દેશ કર્યો એટલે પ્રેમસખીએ પૂછ્યું: 'મહારાજ! કયો રાગ ગાઈએ?'

મહારાજે એક નજર સાંધ્ય-ગુલાબી ગગન તરફ કરી, બીજી નજરે સંગીત વિશેષજ્ઞ ગાયકોને માપ્યા ને પછી તરત કહ્યું: 'ભૈરવ રાગ ગાઓ.'

આ સાંભળતાં જ ગ્વાલિયરના એ ગવૈયાઓ ચોંકી ઊઠ્યા. એમને થયું આ સંધ્યાટાણે પ્રાત:કાલીન રાગ ભૈરવ! કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. ગુજરાત ગાંડી કહેવાય છે, તે શું આ કારણે જ હશે?

પણ આ સંતો માટે તો-- आज्ञा गुरूणां अविचारणीया। એવું હતું. મહારાજ કહે કે રાત એટલે રાત અને દિવસ એટલે દિવસ. એમાં જરાય સંશય ન હોય.

મહારાજની આજ્ઞા થતાં જ પ્રેમાનંદ સ્વામીએ સારંગી છેડી આલાપ કરીને ભૈરવ રાગનો દ્રુપદ ગાયો. બ્રહ્માનંદ સ્વામીએ તબલા ઉપર સંગત કરી અને મુક્તાનંદ સ્વામીએ સિતાર લીધી. જેમ જેમ રાગ જામતો ગયો એમ એમ સંધ્યાને ટાણે પ્રાત:નું પ્રાગટ્ય થવા લાગ્યું. અસ્તાચળ પર પહોંચેલાં સૂર્યનાં કિરણોથી સંધ્યાની જે લાલિમા પથરાઈ હતી તે જાણે અરુણોદય હોય એવી ભ્રાંતિ સર્વને થવા લાગી.

સવાર થયું હોય એવી ભ્રાંતિમાં કૂકડો પણ બોલી ઊઠ્યો. પ્રકૃતિના વાતાવરણ ઉપર ભૈરવના સ્વરોએ એવી પક્કડ જમાવી કે સર્વને સ્મરણ જ ન રહ્યું કે સલૂણી સંધ્યા રાત્રિના શ્યામ સાળુમાં સરી રહી છે.

પ્રભાતના પક્ષીઓના મીઠા કલરવ સાથે પ્રેમાનંદ સ્વામી ભૈરવના સ્વરોને આલાપી રહ્યા હતા.

'ચંદન ચરચિત નીલ કલેવર સુંદર,

કટિતટ કસ્યો પટ પીત... ચંદન.'

મંદ અને શીતળ પવન વાવા લાગ્યો.

આલાપ, તાન, સંચારી, આભોગ એમ એક પછી એક અંગો લેતાં ગયા તેમ તેમ રાગનું શુદ્ધ સ્વરૂપ ખડું થતું ગયું.

કીર્તનના સૂરો સર્વના અંતરમાં રમણ કરવા લાગ્યા.

ગ્વાલિયરના ગવૈયાઓ અચંબામાં પડી ગયા. એમને થયું: 'આ તો અદ્વિતીય ગાન છે! સમય પ્રમાણે રાગ તો બધા ગાય છે, પણ સંગીત પ્રમાણે- રાગ પ્રમાણે સમયને પ્રવર્તાવવો એ તો આ સંત સંગીતકારો જ કરી શકે.'

અંતે કીર્તન અને સંગીતના રણઝણાક વિરમ્યા.

પ્રસંગ સંદર્ભ : ભ્રહ્મસંહિતા. પ્ર. પ, અ. મ. પૃષ્ઠ નં. ૪૪૧

ગ્વાલિયરના રાજગાયકોને લાગ્યું કે જૂનાગઢના નવાબ સાહેબે આજે આપણને મહામૂલો લહાવો અપાવ્યો. આ રૂહાની સંગીત જો આપણે ન સાંભળ્યું હોત તો ખરેખર આત્માનું સંગીત કોને કહેવાય એના અભિજ્ઞ અનુભવથી આપણે સદંતર વંચિત રહી ગયા હોત! શ્રીજીમહારાજનાં ચરણોમાં મસ્તક નમાવી એમના વયોવૃદ્ધ ઉસ્તાદે કહ્યું: "હવે અમને સમજ પડી કે આપે સંધ્યા ટાણે ભૈરવ રાગ શા માટે સંભળાવ્યો. તમારા સંતોના સંગીત પાસે સાચે જ અમારા સંગીતની કિંમત કોડીની જ છે. નવાબ સાહેબે કહ્યું હતું એ પ્રમાણે સાચે જ આ સંગીત રૂહાની સંગીત છે!"

આ સાંભળીને મહારાજે સ્મિત કરીને કહ્યું: "આજે તમને આ સંતના સંગીતની મહત્તા સમજાઈ એથી અમને પરમ સંતોષ થયો છે. કલા માત્ર ઈશ્વરાભિમુખ બનવા માટે જ છે. કલા માત્ર આત્માને ઊર્ધ્વગામી બનાવવા કાજે જ છે. કલાની આરાધના એ ભક્તિનો જ એક પ્રકાર છે. પણ કલાની એ સાધનામાં દુન્યવી કામના ન ભળવી જોઈએ. એ ફક્ત પ્રભુ પ્રીત્યર્થે જ સમર્પવી જોઈએ. અમે તો અમારા સંતોને સદાય કહીએ છીએ કે ઈશ્વરના સ્મરણ-અનુસંધાન વિના ગાયું એ ન ગાયા જેવું જ છે!"

મહારાજની માર્મિક વાણી સાંભળી એ રાજગાયકો ધન્ય થઈ ગયા.

એ ગાયકો ગઢડામાં બે-ચાર દિવસ રહ્યા ત્યાં સુધી દરરોજ શ્રીજીમહારાજને પોતાનું સંગીત સંભળાવતા. શ્રીજીમહારાજે તેઓને ઉચિત પુરસ્કાર આપીને વિદાય આપી.

કાવ્યકૃતિ :

ચંદન ચરચિત નિલ કલેવર સુંદર,

કટિતટ કસ્યો પટ પીત... ચંદન.

ચંચલ લોચન ભવદુ:ખ મોચન,

રોચન એ સહજાનંદ મીત... ચંદન.

ચિતવની ચિતવન દેખી સુખ ઊપજત,

હસત હસત મન જોરત બરજોરી પ્રીત... ચંદન.

પ્રેમાનંદ પ્રીતમ પ્યારે કી છબી પર,

તન મન બલી જાઉં નીત નીત... ચંદન.


આસ્વાદ :

પ્રેમસખી પ્રેમાનંદ મુખ્યત્વે આત્મલક્ષી ઊર્મિપ્રધાન કવિ છે, જેથી એમનાં કીર્તનોમાં માહાત્મ્યજ્ઞાનેયુક્ત માધુરીસભર પ્રેમભક્તિની પ્રોજ્જવલતા, શૃંગારભક્તિની ભાવાત્મક અભિવ્યક્તિના કલાઉન્મેષો સહેજે ઝિલાયા છે.

વિયોગાવસ્થામાં પ્રિય પાત્રના રૂપસૌંદર્યને સંભારી એના ગુણોનું ચિંતવન કરવાથી માનસિક પરિતાપ કંઈક સહ્ય બનતો હોય છે. પ્રેમસખીએ હંમેશાં પ્રિયતમાભાવે જ પ્રીતમ સહજાનંદને ચાહ્યા છે અને વિયોગે તેમની જ મૂર્તિનું ચિંતવન કરીને એના રૂપગુણકથન કરતાં પ્રેમગીતો ગાયાં છે.

પ્રસ્તુત પદમાં પ્રીતમ પ્યારા પ્રભુ સહજાનંદજીની સાંવરી મૂર્તિ-સ્વરૂપ 'નીલ કલેવર'ના અંગસૌંદર્યનું ભાવસંવેદનભર્યું સુંદર વર્ણન કરતાં પ્રેમસખી ગાય છે:

'ચંદન ચરચિત નીલ કલેવર સુંદર,

કટિતટ કસ્યો પટ પીત.'

મહાપ્રભુ સહજાનંદનું શ્યામ સુંદર શરીર ભક્તોએ ચંદનથી ચર્ચેલું છે. 'કટિતટ કસ્યો પટ પીત' એમ કહીને કવિએ પ્રભુના પિતામ્બરના શૃંગારનું નિરૂપણ કેટલા સુંદર શબ્દાનુપ્રાસથી કર્યું છે!

પ્રેમસખીને વર્ણાવૃત્તિમૂલક તેમ જ શબ્દાવૃત્તિમૂલક અનુપ્રાસ સહજસાધ્ય છે, એનાથી પદલાલિત્ય અને નાદસૌંદર્ય સધાયું છે.

પ્રભુના ચંચળ લોચન સંસારના દુઃખથી છોડાવનાર છે. શ્રીજીને 'મીત' કહીને અહીં કવિ ઇષ્ટઆરાધ્ય શ્રી સહજાનંદ સ્વામી પ્રત્યેની પ્રેમોત્કટ ભક્તિની કેટલી નિકટતા દર્શાવે છે! કવિને પ્રભુના સૌંદર્યનું આકર્ષણ માહાત્મ્યેયુક્ત છે. શ્રીહરિની સર્વચેષ્ટાઓ જેવી કે જોવું, બોલવું ઇત્યાદિ પ્રત્યેક ક્રિયાઓ નીરખીને કવિને ખૂબ આનંદ આવે છે. પ્રભુનું રૂપમાધુર્ય અને એમની પ્રત્યેક ચેષ્ટા અનુપમ છે. પ્રત્યેક ચેષ્ટાની વિશિષ્ટતા પણ પ્રેમસખીએ મધુર રીતે દર્શાવી છે. પરાણે પ્રીત થઈ જાય એવા પ્રભુના સુમધુર સ્મિતને કવિ એમ કહીને બિરદાવે છે-

'હસત હસત મન જોરત બરજોરી પ્રીત'

'સનેહી' સહજાનંદ પ્રભુના સલૂણાં સ્વરૂપ પર સ્વામી પ્રેમાનંદ તન-મનથી વારી ગયા છે.

પ્રેમસખી રાધાની જેમ પ્રિયતમ સહજાનંદમાં મધુર અનુરાગ અનુભવે છે. વળી એ પૂર્વાનુરાગ, મધુર આકર્ષણ, સ્નેહસિક્ત દૃઢતા અને અપૂર્વ શ્રદ્ધા સ્વાર્પણના ભાવોએ યુક્ત છે. એમના હૃદય મંદિરમાં શ્રી સહજાનંદજી પ્રત્યે જે મધુર રતિ છે, એ એમનાં પદમાં પ્રદર્શિત વિભાવ, અનુભાવાદિ દ્વારા ક્રમશઃ પરિપુષ્ટ બનીને મધુરરસનું સ્વરૂપ ધારણ કરતી જણાય છે. સ્વેષ્ટ સહજાનંદજી કે જે સૌંદર્યનિધાન યા મૂર્તિમાન શૃંગાર છે તે પ્રેમસખીની અક્ષરઆરાધનાનું આલંબન છે અને તેથી જ પ્રેમસખીને સહજાનંદજી પ્રભુના રૂપસૌંદર્ય આકર્ષે છે. તેથી જ તેમનું હૃદય આટલી ઉત્કટતાથી પ્રગલ્ભપણે સંયોગ શૃંગાર ગાય છે. આ જ એમની પ્રેમભક્તિ છે.

શાંડિલ્ય ભક્તિસૂત્ર અનુસાર પ્રભુમાં પ્રીતિ એ જ પરાભક્તિ છે. એ પ્રીતિ પણ પ્રભુના પરમ અનુરાગમાંથી જન્મી હોય છે. આવી ભક્તિ પ્રાપ્ત થતાં જ ભક્ત કોઈ વસ્તુમાં આસક્ત કે વિષયભોગમાં ઉત્સાહિત થતો નથી. તેથી જ નારદભક્તિસૂત્રમાં લખ્યું છે કે -'પરમપ્રેમરૂપાભક્તિ એ જ અમૃતસ્વરૂપા છે.'

આ પદ ભૈરવ રાગના દ્રુપદ ચૌતાલમાં ગાઈને પ્રેમાનંદ સ્વામીએ ગ્વાલિયરના ગવૈયાઓને 'રૂહાની' સંગીતનો અલૌકિક અનુભવ કરાવેલો. તે પ્રસંગના વાતાવરણને પોષે એવી કોમળ મધુર સંગીત માધુરીને અનુકૂળ એવી બાની લયકારી છે તે જોઈ શકાય છે.