૭. આસુરી જીવને દૈવી થવાનો ઉપાય - ભગવાનનું અન્વય-વ્યતિરેકપણું.
સંવત 1882ના માગશર વદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને હરિભક્ત પરસ્પર ભગવદ્વાર્તા કરતા હતા, તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
પછી શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! ભગવાનનું અન્વયપણું કેમ છે? ને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અન્વય-વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે, ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે એમ નથી; એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે, જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં, ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે, અને ચોવીશ તત્વને વિષે આવે તો ચોવીશ તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि॥
ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે, અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાંદડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ, તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય-વ્યતિરેકપણું છે.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 7 || (207)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આસુરી જીવ સત્સંગમાં આવે તો તે બ્રહ્મમાં અનંતવાર લીન થાય, ને નીકળે ત્યારે આસુરભાવ નાશ પામે. (1) બીજામાં અમે માયા ને માયાના કાર્યમાં અન્વય થયા થકા આકાશની પેઠે વ્યતિરેક જ છીએ. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં આસુરી જીવ બ્રહ્મમાં લીન થાય ને નીકળે એમ કહ્યું તે બ્રહ્મમાંથી તો નીકળાય નહિ એમ (પ્ર. 64/4માં) કહ્યું છે તે કેમ સમજવું?
ઉ.૧ આ ઠેકાણે શ્રીજીમહારાજના ભક્તને બ્રહ્મની મૂર્તિઓ કહ્યા છે તેને ઘેર અનંતવાર જન્મ ધરે ત્યારે તે દૈવી થાય તે (મ. 63/6માં) કહ્યું છે.
પ્ર.૨ બીજા પ્રશ્નમાં અમે માયાને વિષે તથા તત્વને વિષે આવીએ ત્યારે એ માયા આદિક અક્ષરધામરૂપ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે માયાને વિષે કેવી રીતે આવતા હશે?
ઉ.૨ અગ્નિની જ્વાળા લોઢાને વિષે આવે છે ત્યારે તે લોઢું અગ્નિનું કામ કરે છે, તેમ માયાને વિષે તથા તત્વને વિષે શ્રીજીમહારાજ અંતર્યામીરૂપે પ્રવેશ કરે ત્યારે તે દ્વારે પોતે ઉત્પત્યાદિક કરે છે અને જ્યારે એ કાર્ય થઈ રહે એટલે પ્રલય થાય ત્યારે તે માયા તથા તત્વ તે જેવાં હોય તેવાં રહે છે, જેમ લોઢામાંથી અગ્નિ નીકળી જાય ત્યારે તે લોઢું પ્રથમ જેવું હોય તેવું રહે છે તે (પં. 7/2માં) કહ્યું છે જે, જેને વિષે અમે પ્રવેશ કરીએ છીએ તેના પ્રકાશને ઢાંકીને અમારો પ્રકાશ પ્રગટ કરીએ છીએ એમ કહ્યું છે.