૧૦. ભગવાનને પ્રસન્ન કરવામાં તપની અગત્યતા - શ્રી સ્વામિનારાયણનું કર્યું જ સર્વે થાય છે ને શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવા કોઈ સમર્થ નથી - આ લોક પરલોકમાં સારું થવાનો માર્ગ - ત્યાગ ને તપમાં આવતાં વિઘ્નને દૂર કરવાનો ઉપાય.
સંવત 1877ના કાર્તિક સુદિ 10 દશમીને દિવસ રાત્રિએ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડામાં વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ મોટેરા દશબાર તથા પાંચ છો હરિભક્ત બેઠા હતા, અને શ્રીજીને શરીરમાં તાવ જેવું જણાતું હતું, અને આગળ સગડી મેલીને તાપતા હતા.
પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારનાં ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઇચ્છે છે અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે એ બાધ છે, માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કર્તા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે.(બા.૬)
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૩) હે મહારાજ! અમારું આ લોકને વિષે તથા પરલોકને વિષે સારું થાય તે કહો? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારો જે આ સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે.(બા.૭)
પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૪) હે મહારાજ! ત્યાગનો અને તપ કરવાનો મનમાં ઇશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને જે વાતનો ઇશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઇશક જાણવો, જુઓને અમે એકવીશ વર્ષ થયાં શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી, શા માટે જે અમારે ત્યાગનો જ ઇશક છે અને આ સંસારને વિષે કેટલીક રાંડું છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાયવોય કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે, એવી રીતે સૌ સૌના ઇશક જુદી જુદી જાતના છે અને અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, તપે કરીને શ્રી નરનારાયણને રાજી કરવા.(બા.૮)
અને ભગવાનને સર્વના કર્તા-હર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ, માટે તમે પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો અને આપણા સ્વામી જે શ્રી નરનારાયણ દેવ છે તે તો બદરિકાશ્રમને વિષે તપ કરે છે અને શિયાળાની ટાઢ તથા ઉનાળાનો તડકો તથા ચોમાસાના વરસાદની ધારા એ સર્વે પોતાના શરીર ઉપર સહન કરે છે માટે એ શ્રી નરનારાયણના ભક્ત હોય તેને પોતાના સ્વામી કરતાં કાંઈક વિશેષ રાખ્યું જોઈએ એ જ સેવકનો ધર્મ છે.(બા.૯)
ઇતિ વચનામૃતમ્ || 10 || (106)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે તપે કરીને પોતાની પ્રસન્નતા કહી છે અને અમારી ઇચ્છાએ કષ્ટ આવે તેને ટાળવા ઇચ્છવું નહિ. (1) અને અમને એકને જ કર્તા જાણવા તે કલ્યાણનું પરમ કારણ છે. (2) અને અમને સર્વ કર્તા-હર્તા ન જાણે અને બીજા કાળ-કર્માદિકને કર્તા જાણે તે પંચ મહા પાપીથી વધુ પાપી, નાસ્તિક ને ચંડાળ છે, એની પાસે ઊભું ન રહેવું ને તેનું વચન પણ સાંભળવું નહિ. (3) અને અમારા ભક્ત અમારે પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા થાય અને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા પણ થાય પણ અમારા જેવો થાવાને કોઈ સમર્થ નથી. (4) એ સર્વે અમારા સેવક છે ને અમે એ સર્વેના સ્વામી છીએ. એવો ભાવ ટળી જાય અને અમને ને બીજા મૂળઅક્ષરાદિક અવતારોને સરખા મનાય એવા સંગનો તથા એવાં શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (5) બીજામાં અમને સર્વ કર્તા-હર્તા જાણવા અને તપ કરવું અને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમને ભજવા એ અમારો સિદ્ધાંત છે. (6) ત્રીજામાં એ સિદ્ધાંત આ લોક તથા પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે. (7) ચોથામાં જેને તપ-ત્યાગનો સાચો ઇશક હોય તે કોઈ અંતરાયનો રોક્યો રોકાય નહિ. (8) અને અમારા ભક્તને અમારા કરતાં વિશેષ ત્યાગ રાખવો. (9) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં દેહ છતાં તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવાનું કહ્યું તે દેહ મૂકીને તો જવાય પણ દેહ છતાં શી રીતે જવાતું હશે?
ઉ.૧ જે સંતની પાસે રહેતા હોઈએ તે સંત ખાધા-પીધાની આસક્તિવાળા હોય તેનો ત્યાગ કરીને તપના અંગવાળા સંતની પાસે રહેવું તે દેહ છતાં બદરિકાશ્રમ જાણવું અને જે સંત તપ તથા ધ્યાન એ બે અંગે યુક્ત હોય તેનો સંગ રાખવો ને તેના જેવું અંગ કરવું તે દેહ છતાં શ્વેતદ્વીપમાં ગયા જાણવું.
પ્ર.૨ આમાં (1/4 પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમારે પ્રતાપે કરીને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા અક્ષર જેવા થાય એમ શ્રીજીમહારાજે કહ્યું તે કોને જાણવા?
ઉ.૨ મૂળમાયા ને મૂળપુરુષ છે તેમને પ્રકૃતિપુરુષ કહ્યા છે અને તેમના ઉપરી શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ છે તેમને બ્રહ્મ કહ્યા છે. ને તેના ઉપરી મૂર્તિમાન મૂળઅક્ષર છે તેને અક્ષર કહ્યા છે તે શ્રીજીમહારાજને ભજીને અનંત થાય છે.
પ્ર.૩ જે પ્રકૃતિપુરુષના ઉપરી બ્રહ્મને કહ્યા તે બ્રહ્મને આ વિના બીજા કોઈ વચનામૃતમાં પુરુષના ઉપરી કહ્યા હશે?
ઉ.૩ (લો. 12ના પહેલા પ્રશ્નમાં) શ્રીકૃષ્ણની ઉપાસના કરનારાને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહ્યો છે અને વાસુદેવની ઉપાસના કરનારાને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહ્યો છે તથા (પં. 6/1માં) વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે તથા (મ. 31ના પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષને બ્રહ્મ સુખે સુખિયા કહ્યા છે તે બ્રહ્મ વાસુદેવને કહ્યા છે. આ ચારમાં મૂળપુરુષના ઉપરી વાસુદેવને કહ્યા છે.
પ્ર.૪ શ્રીજીમહારાજને ભજને કરીને પુરુષ, બ્રહ્મ ને અક્ષર જેવા થાય એમ કહ્યું તે એમ અધિક-ન્યૂન થાવાનું કારણ શું હશે?
ઉ.૪ શ્રીજીમહારાજને વૈરાજપુરુષ જેવા જાણીને ઐશ્વર્યની ઇચ્છાથી ભજન કરે તે બ્રહ્મા થાય અને અનિરુદ્ધાદિક જેવા જાણીને ભજે તો વૈરાજ થાય ને મહત્તત્વ જેવા જાણીને ભજે તો અનિરુદ્ધાદિક થાય અને પ્રધાનપુરુષ જેવા જાણીને ભજે તે મહત્તત્વ થાય અને મૂળપુરુષ જેવા જાણીને ભજે તે પ્રધાનપુરુષ થાય અને વાસુદેવબ્રહ્મ જેવા જાણીને ભજે તે મૂળપુરુષ થાય અને મૂળઅક્ષર જેવા જાણીને ભજે તે વાસુદેવબ્રહ્મ થાય અને શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ઐશ્વર્યની ઇચ્છાથી ભજે તે મૂળઅક્ષર થાય, માટે મહિમાની તારતમ્યતાથી સામર્થીમાં ભેદ પડ્યા છે અને નિષ્કામભાવે જેને ભજે તે તેના પાર્ષદ થાય.
પ્ર.૫ આમાં ભક્ત છેવટ અક્ષર જેવો થાય એમ કહ્યું અને (પ્ર. 51,63ના ત્રીજા પ્રશ્નમાં, કા. 1ના પાંચમા પ્રશ્નમાં, મ. 66ના સાતમા પ્રશ્નમાં, તથા 67માં) અમારો ભક્ત અમારા સરખો થાય છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું?
ઉ.૫ આમાં ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્તની વાત કહી છે, જે ઐશ્વર્યને ઇચ્છે તે છેવટ મૂળઅક્ષર થાય એમ કહ્યું છે અને (પ્ર. 51,63, કા. 1, મ. 66 તથા 67માં) મોક્ષની ઇચ્છાવાળા નિષ્કામ ભક્તની વાત કહી છે એ નિષ્કામ ભક્ત શ્રીજીમહારાજના સાર્ધમ્યપણાને પામે છે ને શ્રીજીમહારાજની હજૂરમાં અખંડ સેવામાં રહે છે.
પ્ર.૬ શ્રીજીમહારાજના ભક્ત હોય અને એને શ્રીજીમહારાજની સેવામાં જ રહેવાની ઇચ્છા હોય પણ પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનવું એવી સમજણ ન હોય ને સાકાર મૂળઅક્ષરરૂપ પોતાને માનીને શ્રીજીમહારાજને ભજતા હોય તેને કેવી પ્રાપ્તિ થાય?
ઉ.૬ એ ભક્ત નિષ્કામ છે માટે એને શ્રીજીમહારાજ પોતાના મુક્તનો યોગ આપે ને એવા મુક્તનો યોગ ન હોય તો બુદ્ધિયોગ આપે તે બુદ્ધિએ કરીને આ શાસ્ત્રમાંથી એ ભક્ત શ્રીજીમહારાજનો મહિમા જાણીને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજને ભજે ને એનું શ્રીજીમહારાજ પૂરું કરે અને જો નિષ્કામ હોય ને મૂળઅક્ષરરૂપ માનવું એવી આંટી ન મૂકે તો એને ફેર જન્મ ધરાવીને મોટા મુક્તનો યોગ આપીને તેનું પૂરું કરે.
પ્ર.૭ પ્રકૃતિપુરુષોનાં, બ્રહ્મનાં ને મૂળઅક્ષરોનાં ધામ કિયાં હશે?
ઉ.૭ (અ. 7/1માં) ગોલોક ધામ કહ્યાં છે તે પ્રકૃતિપુરુષોનાં છે અને બ્રહ્મપુર કહ્યાં છે તે વાસુદેવબ્રહ્મનાં ધામ છે અને અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે તે મૂળઅક્ષરોનાં ધામ છે.
પ્ર.૮ (આમાં 2/6 બીજા પ્રશ્નમાં) અમને પડ્યા મેલીને પદાર્થમાં પ્રીતિ કરે તો પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે ભોગવે તો શ્રીજીમહારાજને પડ્યા મેલ્યા કહેવાય?
ઉ.૮ શ્રીજીમહારાજને જમાડેલી વસ્તુમાં સ્વાદ માનીને તેને વિષે મોહ પામીને આસક્તિપૂર્વક જમે ને શ્રીજીમહારાજની સ્મૃતિ ભૂલી જાય તે શ્રીજીમહારાજને પડ્યા મેલીને ભોગવ્યું કહેવાય અને શ્રીજીમહારાજની મૂર્તિને ધારી મૂર્તિને જમાડું છું એવી સ્મૃતિ રાખીને આસક્તિએ રહિત થકો જમે ને શ્રીજીમહારાજને ભૂલે નહિ તે શ્રીજીમહારાજને પડ્યા મેલ્યા ન કહેવાય અને એવી રીતે ન જમે ને શ્રીજીમહારાજને ભૂલીને જમે તે વિષયી થઈને ભ્રષ્ટ થાય.
પ્ર.૯ (2/9 બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું કે નરનારાયણ ભગવાન બદરિકાશ્રમને વિષે તપ કરે છે ને શિયાળાની ટાઢ્ય તથા ઉનાળાનો તડકો તથા ચોમાસાનો વરસાદ તે પોતાના શરીર ઉપર સહન કરે છે તેથી તેમના ભક્તને વિશેષ રાખવું જોઈએ તે નરનારાયણ કોને જાણવા ને વિશેષ કેવી રીતે વર્તવું?
ઉ.૯ શ્રીજીમહારાજે પોતાને નરનારાયણ કહ્યા છે તે વનમાં વિચર્યા ને ઝાડ હેઠે તપ કર્યું તે બદરિકાશ્રમ જાણવું. એવી ત્યાગી તથા ગૃહસ્થોએ તપ કરવાની સદા રુચિ રાખવી ને તપ કર્યા કરવું અને મહારાજ રાજાધિરાજપણે ભેટ-સામગ્રીઓ ગ્રહણ કરતા તે પ્રમાણે ત્યાગી-ગૃહીએ પૂજાવા ઇચ્છવું નહિ ને પ્રતિમારૂપે વિરાજતા હોય ત્યારે ભગવાનને થાળ ધરીને પ્રસાદી અન્ન ત્યાગીએ મેળાવી પાણી નાખીને જમવું ને ગૃહસ્થોએ પણ થાળ ધરીને મહારાજની સ્મૃતિ રાખીને જમવું.