૧૮. સત્સંગીએ ગુરુપરંપરા વગેરે સંપ્રદાય સંબંધી અવશ્યપણે લક્ષમાં રાખવાની વિગત.
સંવત 1882ના મહા સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી વરતાલ મધ્યે સંધ્યા-આરતી થયા કેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી-તકિયા નખાવીને વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાની ચારે કોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 18 || (218)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારા સત્સંગીએ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી. (1) તથા ગુરુ પરંપરા જાણવી. (2) તથા ધર્મકુળના સ્થાપનની રીત જાણવી. (3) તથા પરોક્ષના દૃષ્ટાંતે કરીને કહ્યું છે કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર જાણવાં. (4) તથા સત્સંગીના નિયમ જાણવા. (5) તથા ઇષ્ટદેવને જાણવા. (6) અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું જાણવું. (7) અને અમારું પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપ જાણવું. (8) અને અમારાં જન્મ, કર્મ દિવ્ય જાણવાં. (9) અને અમારા સંબંધને પામે તે સર્વ નિર્ગુણ થાય છે. (10) અને અમારે વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે અમે ચતુર્ભુજાદિક તથા મચ્છ-કચ્છાદિક અનંતરૂપ દેખાડીએ છીએ તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કહેવા. (11) અને સ્થાનકના ભેદે કરીને અનેક પ્રકારની લીલા કરી હોય તેણે કરીને દ્વીભુજ એવા જે અમે તે અમારા સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ કરવા નહિ. (12) અને સાધુએ સાધુનાં લક્ષણ પ્રમાણે વર્તવું ને પોત-પોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને અમારી ભક્તિ કરવી. (13) અને તમારા ઇષ્ટદેવ જે અમે તે અમારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું; અમારી આજ્ઞા પ્રમાણે જ વર્તવું. (14) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એમ કહ્યું તે ઉદ્ધવ સંપ્રદાયનો અર્થ શો સમજવો?
ઉ.૧ ઉત્ કહેતાં ઉત્કૃષ્ટ ને ધવ કહેતાં સ્વામી તે ઉદ્ધવ કહેવાય, તેનો સંપ્રદાય એટલે ઉત્કૃષ્ટ સ્વામી એવા જે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો સંપ્રદાય તે ઉદ્ધવ સંપ્રદાય કહેવાય.
પ્ર.૨ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવાની કહી તે રીત કેવી રીતે જાણવી?
ઉ.૨ મૂળ અક્ષરાદિ સર્વે અવતારનું કારણ અવતારી ને સર્વોપરી એવું શ્રીજીમહારાજનું સ્વરૂપ જાણવું, અને તેમના આશ્રિત ત્યાગી-ગૃહીના ધર્મ જાણવા તથા પોતાને બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજ રૂપ અક્ષરધામ તે રૂપ માનીને ધર્માદિક અંગે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરવી તે રીત જાણવી.
પ્ર.૩ ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા એમ કહ્યું તેનો શો અર્થ જાણવો?
ઉ.૩ ઉત્કૃષ્ટસ્વામી એવા જે સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે રામાનંદસ્વામી રૂપે પ્રગટ થયા હતા, એટલે રામાનંદ સ્વામી તે શ્રીજીમહારાજના મુક્તાવતાર હતા એમ જાણવું.
પ્ર.૪ મુક્તને શ્રીજીમહારાજના અવતાર કિયા વચનામૃતમાં કહ્યા છે?
ઉ.૪ (પ્ર. 33 ના પહેલા પ્રશ્નમાં) અમે જીવોનાં કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તીએ છીએ તથા (પં. 7/2માં) અને નારદ-સનકાદિક રૂપે થઈએ છીએ એમ કહ્યું છે, માટે જીવોના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજ મુક્તરૂપે પ્રગટ થાય છે તે મુક્તને અવતાર જાણવા, અને ઉત્પત્યાદિકને અર્થે મૂળઅક્ષરાદિ રૂપે થાય છે એટલે મૂળ અક્ષરાદિકને વિષે પોતાની શક્તિ દ્વારે અન્વયપણે રહ્યા છે. તે (પ્ર. 72ના 2/4 બીજા પ્રશ્નમાં) અમે ક્ષર-અક્ષરાદિકને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ, તથા (પ્ર. 63ના 3/4 ત્રીજા પ્રશ્નમાં) અમે કાન્તિએ કરીને અક્ષરાદિક સર્વને વિષે અન્વયપણે રહ્યા છીએ, તેમ જ મોક્ષ કરવાને અર્થે મુક્ત રૂપે પ્રગટ થાય છે તે મુક્તને વિષે સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિમાન રહ્યા છીએ એમ કહ્યું છે.
પ્ર.૫ બીજી બાબતમાં ગુરુ પરંપરા કહી તે કેવી રીતે જાણવી?
ઉ.૫ રામાનંદ સ્વામી સ્વપ્નમાં રાજાનુજાચાર્ય થકી દીક્ષા પામ્યા માટે રામાનંદ સ્વામીના દીક્ષા ગુરુ રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામી થકી શ્રીજીમહારાજ દીક્ષા પામ્યા માટે શ્રીજીમહારાજના દીક્ષા ગુરુ રામાનંદ સ્વામી છે, અને શ્રીજીમહારાજે અમદાવાદ તથા વરતાલ દેવ પધરાવીને ગાદી સ્થાપન કરી શ્રી અયોધ્યાપ્રસાદજી તથા શ્રી રઘુવીરજીને ગુરુપદવી આપી તે ગુરુ જાણવા, ને એ બે ગાદી ઉપર જે જે આચાર્ય સ્થાપન થાય તેમને જ આચાર્ય તથા ગુરુ જાણવા એમ ગુરુ પરંપરા જાણવી.
પ્ર.૬ કેવા હોય તે આચાર્ય કહેવાય?
ઉ.૬ પોતે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી તથા સત્સંગિજીવનમાં આચાર્યના ધર્મ કહ્યા છે તે પ્રમાણે ધર્મમાં વર્તે ને બીજાને વર્તાવે, અને પોતાના સંપ્રદાયના શાસ્ત્રના અર્થને જાણતા હોય. આવા ગુણે યુક્ત હોય તે આચાર્ય કહેવાય.
પ્ર.૭ શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન છે તેમને રામાનંદ સ્વામીને ગુરુ કરવાનું શું કારણ હશે?
ઉ.૭ મુમુક્ષુઓને ગુરુ કરવાની રીત શીખવવાને અર્થે પોતે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા છે.
પ્ર.૮ ત્રીજી બાબતમાં ધર્મકુળના સ્થાપનની રીત જાણવાની કહી તે કેવી રીત જાણવી?
ઉ.૮ ધર્મદેવના કુળમાંથી બે ગાદી ઉપર બે આચાર્ય સ્થાપન કર્યા તેમને આચાર્ય તરીકે માનવા અને બીજા સર્વેને ધર્મકુળ તરીકે માનવા, તે ધર્મકુળના સ્થાપનની રીત જાણવી.
પ્ર.૯ ચોથી બાબતમાં સંપ્રદાય સંબંધી શાસ્ત્ર કહ્યાં તે કિયાં જાણવાં? કેમ જે આ વચનામૃતમાં તો પરોક્ષ શાસ્ત્રનું પ્રમાણ કર્યું છે, અને (મ. 58માં) શ્રીજીમહારાજે પોતાના સંબંધના શાસ્ત્રે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ કહી છે, તે વિરોધ આવે છે, માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર કિયાં જાણવાં?
ઉ.૯ જ્યારે શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કરે અને પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને પોતાનાં શાસ્ત્ર માનવાનું કહે માટે આમાં શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે તેથી પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કહી છે, માટે આપણે આપણા ઇષ્ટદેવ જે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ તેમનાં લીલા ચરિત્ર જે શાસ્ત્રમાં વર્ણન કર્યાં હોય એવાં જે શાસ્ત્ર તે માનવાં. તે શાસ્ત્રનાં નામ:-વચનામૃત જે હરિવાક્ય-સુધાસિંધુ (1), સત્સંગિજીવન (2), સત્સંગિભૂષણ (3), હરિદિગ્વિજય (4), હરિલીલાકલ્પતરુ (5), ભક્તચિંતામણિ (6), હરિચરિત્ર-ચિંતામણિ (7), હરિલીલામૃત (8), ઘનશ્યામ-લીલામૃતસાગર (9), પુરૂષોત્તમ લીલામૃત-સુખસાગર (10), પુરૂષોત્તમ પ્રકાશ (11), કલ્યાણ નિર્ણય (12), હરિલીલા સિંધુ (13), પુરૂષોત્તમ ચરિત્ર (14) ઇત્યાદિક જે શ્રીજીમહારાજ સંબંધી શાસ્ત્ર તે પ્રત્યક્ષ શ્રીજીમહારાજના જે ઉપાસક તેમણે વાચવાં, સાંભળવાં ને ભણવાં અને તેમાં કહ્યા પ્રમાણે વર્તવું.
પ્ર.૧૦ પાંચમી બાબતમાં સત્સંગીના નિયમ જાણવાના કહ્યા તે નિયમ કિયા જાણવા?
ઉ.૧૦ સત્સંગિજીવનમાં શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ આદિકમાં જે જે કહ્યા છે તે નિયમ જાણવા.
પ્ર.૧૧ છઠ્ઠી બાબતમાં આપણા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન તેમને જાણવા એમ કહ્યું તે કેવી રીતે સમજવું?
ઉ.૧૧ શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે, માટે પરોક્ષને દૃષ્ટાંતે કરીને પોતાને ઇષ્ટદેવ માનવા એમ કહ્યું છે.
પ્ર.૧૨ સાતમી બાબતમાં સ્થાનક, સેવક ને કાર્ય કહ્યાં તે કિયાં જાણવાં? અને તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું કહ્યું તે કેવી રીતે જાણવું?
ઉ.૧૨ અક્ષરધામરૂપી સ્થાનમાં મૂર્તિ દિવ્ય તેજોમય છે અને તે મૂર્તિ જે જે લોકોમાં કલ્યાણ કરવા દેખાય તે તે લોકોમાં તે તે લોકોના જેવી દેખાય તે લોકોનાં સ્થાન જાણવાં, અને એ લોકમાં રહ્યા જે ભક્ત તે સેવક જાણવા, અને મનુષ્યરૂપે પ્રગટ થઈને ભગવાન જે જે આચરણ કરે તે કાર્ય જાણવાં, અને જીવોના કલ્યાણને અર્થે અનંત બ્રહ્માંડમાં એક મૂર્તિ થકા અનંતરૂપે દેખાય છે તે મૂર્તિનું બહુપણું જાણવું, તેણે કરીને દિવ્ય મૂર્તિને વિષે ભેદ ન કરવા. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્યરૂપે આંહીં દેખાય છે એમ જાણવું.
પ્ર.૧૩ આઠમી બાબતમાં પરોક્ષ ને પ્રત્યક્ષરૂપ જાણવાં એમ કહ્યું તે કેવી રીતે જાણવું?
ઉ.૧૩ અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ વિરાજે છે તે આપણી દૃષ્ટિએ દેખવામાં નથી આવતું તે પરોક્ષરૂપ સમજવું, અને આંહીં મનુષ્યરૂપે તથા પ્રતિમારૂપે દર્શન આપે છે તે પ્રત્યક્ષરૂપ જાણવું.
પ્ર.૧૪ માયાના તમ થકી પર એવા ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે દ્વિભુજ એવા જે શ્રીકૃષ્ણ તે રહ્યા છે એમ કહ્યું, અને (મ. 39ના 2/3 બીજા પ્રશ્નમાં) જે શ્રીકૃષ્ણે વસુદેવ-દેવકીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું તે ચતુર્ભુજરૂપ અનાદિ છે એમ કહ્યું છે, માટે વસુદેવના પુત્ર જે શ્રીકૃષ્ણ તે તો સદા ચતુર્ભુજ છે, તેમની સેવામાં તો રાધિકા, લક્ષ્મી, નંદ, સુનંદાદિક પાર્ષદ હોય પણ અક્ષરધામને વિષે રહ્યા એવા દ્વિભુજ શ્રીકૃષ્ણ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની સેવામાં રાધિકા, લક્ષ્મી તથા નંદ, સુનંદાદિક પાર્ષદ કહ્યા તે કેવી રીતે સમજવા?
ઉ.૧૪ શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષને દૃષ્ટાંતે પોતાને ભગવાન કહે અને પરોક્ષનાં શાસ્ત્ર તથા પાર્ષદને નામે કરીને પોતાનાં શાસ્ત્ર તથા પોતાના પાર્ષદોને કહે તે (પ્ર. 8, 18, 48 ઇત્યાદિમાં) ઘણે ઠેકાણે છે.
પ્ર.૧૫ (અગિયારમી બાબતમાં) પરોક્ષ શ્રીકૃષ્ણે પોતાને વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે ઘણાંક રૂપ દેખાડ્યાં તે રૂપને ભેદે કરીને જેમ શ્રીકૃષ્ણને વિષે ઉપાસનાના ભેદ કહેવા એમ કહ્યું તેમ જ શ્રીજીમહારાજે પોતાને વિષે પ્રતીતિ લવરાવવાને અર્થે કિયાં રૂપ ધાર્યાં હશે? અને તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કેવી રીતે કહેવા?
ઉ.૧૫ શ્રીજીમહારાજે પોતાને વિષે સર્વોપરીપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે ઘણાક મતવાદીઓને તથા ભક્ત-અભક્ત સર્વેને મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક ઘણાંક રૂપ દેખાડ્યાં હતાં, ને લીન કર્યાં હતાં તે પરથારામાં નવમી બાબતમાં મચ્છ, કચ્છાદિક ઘણા રૂપે દેખાતા હવા એમ કહ્યું છે, અને (મ. 13માં) અવતાર પ્રગટ થાય છે ને લીન થાય એમ કહ્યું છે, માટે તે રૂપ બતાવ્યાં એટલે જે જે અવતારો થયા હતા, તેવાં રૂપ બતાવ્યાં હતાં તે અવતારોથી શ્રીજીમહારાજને પર કહેવા, એવી રીતે તો ઉપાસનાના ભેદ કહેવા પણ પોતાની મૂર્તિ અનંત અવતારો રૂપે શ્રીજીમહારાજે દેખાડી તે મૂર્તિમાં ભેદ ન કરવા, પણ અવતારી સ્વરૂપ શ્રીજીમહારાજ અને બીજા અવતારો તે પૃથક્ છે એમ તો ભેદ કરવા ખરા.
પ્ર.૧૬ ચૌદમી બાબતમાં અમે તમારા આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ છીએ એમ કહ્યું તે ઇષ્ટદેવ તો છે જ પણ આચાર્ય, ગુરુ ને ઉપદેષ્ટા કેમ કહ્યા હશે?
ઉ.૧૬ શ્રીજીમહારાજ અનંત જીવોનાં કલ્યાણને અર્થે મનુષ્યરૂપે પ્રગટ થઈને મુમુક્ષુ જીવોના ઉપદેશને અર્થે રામાનંદ સ્વામીના શિષ્ય થઈને આચાર્ય રૂપે ર્વત્યા તેથી પોતાને આચાર્ય કહ્યા છે. અને સર્વે ત્યાગી-ગૃહીના ગુરુપણે ર્વત્યા તેથી ગુરુ કહ્યા છે. અને સર્વેને ઉપદેશ કર્યો માટે ઉપદેષ્ટા કહ્યા છે, પણ આચાર્યને તથા ગુરુને તથા ઉપદેશ કરનારાને ભગવાન ન જાણવા, એમ (કા. 10ના 1/4 પહેલા પ્રશ્નમાં) અમારા જેવો થવા કોઈ સમર્થ નથી ને અક્ષરપર્યંત સર્વ અમારા સેવક છે ને અમે સ્વામી છીએ; તથા (પં. 2માં) પ્રકૃતિ પુરુષાદિક અમારા ભક્ત છે. માટે એ ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. અને નાના મોટા સર્વ અવતારો તથા મુક્ત તે સર્વે શ્રીજીમહારાજના ભક્ત છે.
પ્ર.૧૭ આ વાર્તા શીખી લેજો ને એ પ્રમાણે વર્તજ્યો ને બીજા આગળ કરજો તે વાર્તા શી સમજવી?
ઉ.૧૭ ઉપર કહી જે સમગ્ર રીત તથા જેમ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને તેમના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, તથા તે શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંધ આદિ શાસ્ત્રમાં સાધુનાં લક્ષણ તથા ધર્મ તથા ભક્તિ કરવાનું કહ્યું છે તેમ વર્તવું.તેમ જ અમારા ભક્તોએ અમારા આચરણ પ્રમાણે આચરણ ન કરવું, અને અમારા સંપ્રદાયનાં શાસ્ત્ર જે વચનામૃત, સત્સંગિજીવન આદિકમાં અમે જેના જેના ધર્મ કહ્યા છે ને અમારી ભક્તિ કરવાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું, એ વાત શીખીને બીજા આગળ કરવી એમ કહ્યું છે.