શ્લોક : ૧૪૫

आयद्रव्यानुसारेण व्यय: कार्यो हि सर्वदा ।

अन्यथा तु महद्दु:खं भवेदित्यवधार्यताम् ॥ ૧૪૫ ॥

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો; અને જે ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુ:ખ થાય છે-એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ॥ ૧૪૫ ॥

ભાવાર્થ

અને તે ગૃહસ્થોએ પોતાને દ્રવ્યની જેટલી આવક હોય તે પ્રમાણે ખર્ચ કરવું, પરંતુ જરૂરી હોય તેથી અલ્પ વ્યય કરી, કંજુસાઈ ન કરવી, તેમ જ અતિ વ્યય કરીને દેવું થઈ જાય તેમ પણ કરવું નહિ. કારણ કે તે દેવું પાછું ન આપી શકાય તો લેણદાર જે ઉપદ્રવ કરે તે સહન થઈ શકતો નથી. એટલે ગૃહસ્થોએ પોતાની આવક કરતાં થોડો ઓછો ખર્ચ કરવો.