સારંગપુર : ૬
સ્થૂળ દેહે વિવેકે સહિત પૂર્વ કર્માનુસારે બાહ્ય પંચવિષયના ભોગને ભોગવે તે સત્ત્વગુણ પ્રધાન જાગ્રત અવસ્થા કહી છે ને તેમાં ભ્રાંતિએ કરીને અયથાર્થપણે ભોગ ભોગવાય તે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કહી છે, ને જાગ્રતમાં વિવેક રહિત ભોગ ભોગવાય તે જાગ્રતમાં સુષુપ્તિ કહી છે, આ સ્થૂળ દેહની વિક્તિ છે. સૂક્ષ્મ દેહમાં પૂર્વ કર્માનુસારે વાસનામય ભોગ ભોગવે તે રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા છે ને સ્વપ્નમાં વિવેકે સહિત વાસનામય ભોગ ભોગવે તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે ને સ્વપ્નના ભોગને ભોગવતો થકો જાણે નહિ તે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે. ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ તથા વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વ કારણ દેહમાં લીન થઈ જાય તે તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા છે અને એ સુષુપ્તિને વિષે કર્તાવૃત્તિ ઉત્પન્ન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન છે અને જાગ્રત ને સ્વપ્નની પીડાના તાપની વૃત્તિ સુષુપ્તિના સુખમાં પ્રવેશ કરે તેના પ્રતિલોમપણાનું જ્ઞાન થાય તે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા છે. આ કારણ દેહની વિક્તિ છે. આ અવસ્થાઓના ભેદનું જ્ઞાન આપનારા અને આ અવસ્થાઓને વિષે જીવોને કર્મફળને આપનારા મૂળ પુરુષદ્વારાએ અમે છીએ. વૈરાજપુરુષની ચાર વાણીનું રૂપ કર્યું છે, જીવની ચાર વાણીનાં રૂપ કર્યાં છે. (૮૪)