૪૫૩ - લગ્નમાં ચાંદલો આપ્યો

0:000:00

બાપાશ્રી હજુ ભૂજમાં જ હતા ને આ વાત બની એટલે મોતીભાઈને ઘણો આનંદ થયો ને જાણ્યું જે, બાપાશ્રીએ આપણને પોતાના જાણ્યા છે, તેથી વ્યવહારમાં વિઘ્ન થવા ન દીધું, તેમ મહારાજ મારી માને દર્શન આપી ધામમાં પણ લઈ ગયા. પછી પોતે મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કરી, બાપાશ્રીને દંડવત્ કર્યા ત્યારે પણ બાપાશ્રીએ ઘણો રાજીપો જણાવ્યો.

બીજે દિવસે બાપાશ્રીને વૃષપુર જવું હતું, ત્યારે પોતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને એમ વાત કરી જે, 'મોતીભાઈની મા, લગ્ન વખતે જ ધામમાં જવાનાં હતાં, પણ જો એમ બન્યું હોત, તો એમની નાતના રિવાજ પ્રમાણે લગ્નમાં કોરી પાંચસો વધુ ખર્ચ કરવી પડત, પણ એ વિઘ્ન ન આવવા દીધું તેથી તેમને એટલી કોરી ઓછી ખર્ચ થઈ, એ અમે મગનના વિવાહમાં ચાંદલો આપ્યો છે, પણ કોઈને આ વાતની ખબર પડવા દીધી નથી.’ આથી બ્રહ્મચારી ઘણા રાજી થયા ને મોતીભાઈને આ વાત કરી.

પછી જ્યારે બાપાશ્રી બીજી વખત ભૂજમાં પધાર્યા ત્યારે પણ આ વાત કરીને કહ્યું જે, 'મોતીભાઈ! અમે તમારું કામ કેવું કરી દીધું? તેમાં વળી કોઈને ખબરેય ન પડી!' ત્યારે મોતીભાઈ કહે, બાપા! અમો આપના બાળક છીએ ને આપ અમારા સાચા માવિત્ર છો તેથી અમે તો આ લોક-પરલોકમાં આપની કૃપાદૃષ્ટિ વડે જ સુખિયા છીએ.' આવાં વિનયવચનથી બાપાશ્રી બહુ રાજી થયા.